Thursday 5 July 2018

પરફેક્ટ Rahul08


પરફેક્ટ

એકવાર કોઈ ગુરુ પોતાના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં જ સાંજ પડી ગઈ એટલે ગુરુજીએ બધા શિષ્યોને રસ્તામાં જ રાતવાસો કરવાની સૂચના આપી અને કહ્યું કે, “આપણે સવારે આગળ જવા માટે પ્રયાણ કરીશું.”
સાંજનું ભોજન બનાવવાની શરૂઆત થઈ એટલે ગુરુજીએ કહ્યું કે, “આજે રોટલી હું બનાવીશ.” બધા શિષ્યો આનંદમાં આવી ગયા કારણ કે આજે ગુરુની બનાવેલી પ્રસાદીની રોટલી જમવા મળવાની હતી અને ગુરુજીને ક્યારેય રોટલી બનાવતા જોયેલા નહીં આજે એ દર્શનનો લાભ પણ મળવાનો હતો.
ગુરુજીએ પ્રથમ રોટલી બનાવી. રોટલીનો કોઈ જ આકાર નહીં. ઓસ્ટ્રેલિયાના નકશા જેવી બની. રોટલી તાવડીમાંથી નીચે ઉતારતી વખતે ગુરુજી બોલ્યા, “પરફેક્ટ.” શિષ્યો મનમાં હસ્યા કે આને પરફેક્ટ કહેવાય ? પણ કોઈ કંઈ બોલ્યું નહીં. બીજી રોટલી ત્રિકોણ આકારની થઈ અને તાવડીમાંથી નીચે ઉતારતા ઉતારતા તૂટી પણ ગઈ. ગુરુજી ફરી બોલ્યા, “પરફેક્ટ.” શિષ્યો મૂંઝાયા કે ગુરુજી ગાંડા થયા છે કે શું ? ત્રીજી રોટલી પણ ચોરસ બની અને વચ્ચે કાણા પણ પડ્યા. આ રોટલી નીચે ઉતારતી વખતે ગુરુજી ફરીથી બોલ્યા, “પરફેક્ટ.”
હવે ના રહેવાયું એટલે એક શિષ્યએ પૂછ્યું, “ગુરુજી, આમાં પરફેક્ટ જેવું શું છે ?” ગુરુએ હસતાં હસતાં કહ્યું, “હું રાહ જ જોતો હતો તારા પ્રશ્નની. માત્ર કોરો લોટ ખાઈએ તો ગળે ના ઊતરે અને પાણી નાંખીને પછી ખાઈએ તો ગળે ચોંટી જાય. આવું ના થાય અને લોટ સરળતાથી ગળેથી ઉતારીને પેટમાં જાય એટલે એને શેકીને ખાવાની શરૂઆત થઈ. આપણે એવું માનીએ છીએ કે રોટલી ગોળ હોય તો જ એને પરફેક્ટ કહેવાય અને આપણી આ માન્યતાને કારણે જ આકાર વગરની, ત્રિકોણ કે ચોરસ રોટલી પૂરતી શેકાયેલી હોવા છતાં આપણને પરફેક્ટ લાગતી નથી.”
ઘણીવાર આપણને એવું લાગે છે કે આ પરફેક્ટ નથી કારણ કે એ આપણી પરફેક્ટની વ્યાખ્યામાં બંધબેસતું નથી. પણ આપણે એ વિચારતા જ નથી કે મારી પરફેક્ટની વ્યાખ્યા કદાચ ખોટી પણ હોઈ શકે પેલી ગોળ રોટલીની જેમ !

Wednesday 4 July 2018

સાધુ Rahul07


સાધુ

વર્ષો પહેલાં ગંગાજીના કાંઠે એક યુવાન સાધુ ઝૂંપડી બાંધીને રહેતો હતો. આમ તો એ જિંદગીની વિટંબણાઓથી કંટાળ્યો હતો અને સ્વભાવે આળસુ હતો એટલે જ સાધુ બન્યો હતો. એક દિવસ એ ગંગાજીના કાંઠે આવેલી પોતાની ઝૂંપડીના આંગણામાં બેઠો હતો ત્યારે એણે કાંઈક મોટી અને ચળકતી વસ્તુને ગંગાજીમાં તણાઈને જતા જોઈ. એ જોતાવેંત એણે ગંગાજીના પ્રવાહમાં ઝંપલાવી દીધું. પ્રવાહના જોર સામે ઝીંક ઝીલતો એ પેલી વસ્તુ સુધી પહોંચ્યો. જોયું તો એ ચળકતી વસ્તુ ચાંદીનું એક મોટું વાસણ હતું. એણે તો એ મોટું વાસણ છાતીસરસું ચાંપીને પાછા તરવાનું શરૂ કર્યું.
એ જ વખતે એને ખ્યાલ આવ્યો કે ગંગાજીના પ્રવાહમાં એની ધારણા કરતા વધારે તાણ હતું. એને તકલીફ પડવા માંડી. એ સાધુ યુવાન જરૂર હતો, પરંતુ એક હાથે વાસણ પકડ્યું હતું એટલે હવે તરવા માટે પણ એક જ હાથ છુટ્ટો રહ્યો હતો. સાધુએ હતું તેટલું જોર લગાવીને તરવાનું શરૂ કર્યું, પરંતુ જેમ જેમ એ કાંઠે આવવાનો પ્રયાસ કરતો હતો તેમ તેમ ગંગાજીનો પ્રવાહ એને વધારે ને વધારે અંદર ખેંચતો જતો હતો. અંતે જ્યારે એને એવું લાગ્યું કે બે હાથના પ્રયત્ન વિના હવે પોતાની જિંદગી બચાવવી અઘરી બની જશે ત્યારે એણે પેલા વાસણને છોડી દીધું. એ પછી પોતે તરતો તરતો કાંઠે પહોંચી ગયો. કાંઠે પહોંચ્યા પછી થાક ખાઈ લીધા પછી એણે ગંગાજીના પ્રવાહ તરફ નજર નાખી. પેલું મોટું વાસણ પાણીના પ્રવાહ જોડે દૂર જઈ રહ્યું હતું. એનાથી બોલી પડાયું કે, ‘મારું આટલું મોટું ચાંદીનું વાસણ તણાઈ ગયું.’
હવે આ બધું ચાલતું હતું ત્યારે એક વયોવૃદ્ધ સંત દૂર બેઠા બેઠા આ આખો ખેલ જોઈ રહ્યા હતા. એ પેલા યુવાન સાધુ પાસે આવ્યા. એના ખભે હાથ મૂકીને બોલ્યા, ‘ભાઈ ! એ ચાંદીનું વાસણ તો તણાતું તણાતું એના રસ્તે જઈ રહ્યું હતું. એને તારી સાથે કાંઈ લેવાદેવા હતી જ નહીં. એ તારું તો હતું પણ નહીં. એક તો તેં ગંગાજીના પ્રવાહની વચ્ચે જઈને એને પકડ્યું. પછી તારી જિંદગી બચાવવા માટે એને છોડી દીધું ! બસ, એટલી વારમાં એ તારું થઈ ગયું ? મારા ભાઈ, તારી પાસે જે વસ્તુને ઈશ્વરે મોકલી હોય તેનો આનંદ લે એ બરાબર, પરંતુ જે તારી પાસેથી જતું રહે એને પણ એટલા જ આનંદથી જવા દે ! આપણે એટલું જ યાદ રાખવાનું કે દુનિયાની દરેક વસ્તુ આપણને ભાડે મળેલી છે. એ ક્યારેય આપણી હતી જ નહીં, એટલે આવો શોક શા માટે ?’
આટલું કહીને એ વયોવૃદ્ધ સાધુ પોતાના રસ્તે ચાલતા થયા. પેલો યુવાન સાધુ કદાચ આજે પહેલી વખત સાધુત્વનો પહેલો અને ખૂબ અગત્યનો પાઠ ભણ્યો હતો. એ પણ હળવોફૂલ થઈને ગંગામૈયાના પ્રવાહને નિહાળી રહ્યો.

સંકલન- તુષાર સોની

Wednesday 23 May 2018

ખામી કે ખૂબી Rahul06

13 વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ અસર આ છોકરી પર થતી નહોતી.

છેલ્લા ઉપાય તરીકે આ છોકરીની મમ્મીને શાળાએ બોલાવવામાં આવી. શિક્ષકે એમને કહ્યુ કે " આ છોકરી ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી. એ શાંતીથી વર્ગમાં બેસી પણ શકતી નથી. આ છોકરીને અમે આ શાળામાં રાખી શકીએ તેમ નથી કારણકે એનામાં કંઇક ખામી હોય એવુ અમને લાગે છે તમે ખામીવાળા બાળકોને અભ્યાસ કરાવતી હોય એવી કોઇ શાળામાં એને પ્રવેશ અપાવો."

વાત સાંભળીને છોકરીની મમ્મી પડી ભાંગી. પોતાની દિકરીના ભવિષ્યની ચિંતા માતાને સતાવી રહી હતી. દિકરીમાં શું ખામી છે એ તપાસવા માટે એણે એક મનોવૈજ્ઞાનિક ડોકટરની મુલાકાત લીધી. ડોકટરે નાની છોકરીની બધી વાતો ધ્યાનથી સાંભળી અને એનું નિરિક્ષણ કર્યુ. છોકરી શાંત બેસી રહેવાને બદલે એના પગ હલાવતી હતી અને વારે વારે ઉભી થતી હતી. ડોકટરે એની ચેમ્બરમાં રહેલો રેડીયો ચાલુ કર્યો અને છોકરીને ડાન્સ કરવા માટે પ્રત્સાહિત કરી. થોડી જ વારમાં 13 વર્ષની ઉંમરની આ છોકરી કોઇપણ જાતની તાલીમ વગર અદભૂત ડાન્સ કરવા લાગી.

ડોકટરે છોકરીની માતાને કહ્યુ, " તમે કોઇ ચિંતા ન કરો. તમારી દિકરી ખામીવાળી નહી પણ ખુબીવાળી છે. ભગવાને એનામાં નૃત્યકળા ઠાંસીઠાંસીને ભરી છે. આને તમે કોઇ સારી સંગિત અને નૃત્યની શાળામાં મોકલો. ડોકટરના આદેશ પ્રમાણે એ છોકરીને એક સારી નૃત્યશાળામાં મુકવામાં આવી અને યોગ્ય તાલીમના કારણે આ છોકરી ન કેવળ પોતાના શહેરમાં પરંતું સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ બની ગઇ.
શિક્ષકોએ જેને ખામીવાળી છોકરી સમજીને શાળામાંથી કાઢી મુકેલી એ છોકરી એટલે વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર, કોરીયોગ્રાફર, અભિનેત્રી અને ડાયરેકટર ગિલીયન લીની.
મિત્રો, ઘણીવખત આપણે બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ કરતા હોઇએ છીએ. બાળકોના વર્તન પરથી એની ટેલેન્ટને સમજીએ અને બીજા બાળકો સાથે એની સરખામણી કરવાનું બંધ કરીએ.
- શૈલેષ સગપરિયા

Thursday 17 May 2018

ન દેખાતી બાજુ- Rahul05

          શ્રધ્ધા નામની એક છોકરી એક દિવસ શાળાએ મોડી આવી. વર્ગ શિક્ષક આ છોકરીને ખિજાયા અને પછી વર્ગની બહાર ઉભા રહેવાની સજા કરી. બીજા દિવસે ફરીથી આ છોકરી મોડી આવી અને શિક્ષકે એને પહેલા દિવસ જેવી જ સજા બીજા દિવસે પણ કરી.
આવુ પછી તો સતત 3 માસ સુધી બન્યુ શ્રધ્ધા રોજ હાંફળી ફાંફળી થઇને દોડતી દોડતી શાળાએ આવતી પણ છતા મોડુ થતું એને મોડા આવવા બદલ સજા થતી અને એ કોઇપણ જાતની દલીલ વગર સજા સ્વિકારી લેતી.


         એક દિવસ આ છોકરી સાવ અચાનક સમય કરતા પણ વહેલી શાળાએ આવી ગઇ. રોજ મોડી પડનારી આ છોકરીને આજે વહેલી આવેલી જોઇને શિક્ષક પણ આશ્વર્યમાં પડી ગયા.

             એણે પેલી છોકરીને પુછ્યુ , " શ્રધ્ધા , આજે કેમ સમયસર આવી ગઇ ? " શ્રધ્ધાએ કહ્યુ , " સાહેબ , ઘેર મારે એક અપંગ અને બિમારીથી પીડાતો નાનો ભાઇ હતો. રોજ સવારે કુટુંબના ભરણપોષણ માટે મારી માં ને કામ કરવા માટે બહાર જવું પડતું અને જ્યાં સુધી મારી માં કામ પરથી પાછી ના આવે ત્યાં સુધી મારા ભાઇને સાચવાવાની જવાબદારી મારી હતી. મારી માં પાછી આવે પછી ભાઇ એને સોંપીને હું શાળાએ આવતી અને એટલે મોડી પડતી."

                શિક્ષકે કહ્યુ , " તો પછી આજે કેમ સમયસર આવી ગઇ ? "
શ્રધ્ધાએ આંખમાં આંસુ સાથે કહ્યુ , " સર , મારો નાનો ભાઇ હવે આ દુનિયામાં નથી."
આપણને દેખાય છે એ સિવાયની ન દેખાતી પણ એક બીજી બાજુ હોય છે, આપણે માત્ર જે જોઇએ છીએ એના આધારે જ રીએકટ કરીએ છીએ. અને ન દેખાતી બાજુ સાવ છુટી જાય છે અને કદાચ એની સાથે સાથે બીજુ ઘણુ બધુ પણ છુટી જાય છે.

લેખક_ શૈલેષ સગપરિયા

Monday 14 May 2018

સૂર્ય- એક અદભૂત રચના- Rahul04

થોડુંક જાણીએ આપણાં સૂર્ય વિશે....



          લગભગ ૪.૫૬૮ ખર્વ વર્ષો પૂર્વે વિશાળ આણ્વીય વાદળના નાના ભાગનું ગુરુત્વીય ભંગાણ થવાથી સુર્યમંડળની ઉત્પત્તિ અને પછી ઉત્ક્રાંતિ થઇ. મોટા ભાગનું ભંગાણ પામેલ દ્રવ્ય કેન્દ્રમાં ભેગું થઈને સૂર્યની રચના થઇ. તેથી જ સૂર્ય સમગ્ર સૂર્યમંડળનું ૯૯.૮૬ % દળ ધરાવે છે. જ્યારે બાકી રહેલું 0.૧૪ % દળ કક્ષાઓમાં પથરાઈ જવાથી બધા ગ્રહો,ઉપગ્રહો,લઘુગ્રહો,ઉલ્કાઓ અને ધૂમકેતુની રચના થઇ.


          સૂર્યનો વ્યાસ(ડાયામીટર) લગભગ ૧૩,૯૧,૦૧૬ કિમી છે. જે પૃથ્વીના વ્યાસ કરતાં લગભગ ૧0૯ ગણો થાય.

       સૂર્યનું દળ ૧૯૭૨000000000000000000000000 મેટ્રિક ટન જેટલું છે જે પૃથ્વીના દળ કરતાં ૩,૩0,000 ગણું થાય એટલેકે ત્રાજવાનાં એક પલ્લામાં સૂર્ય મુકો અને બીજા પલ્લામાં ૩,૩0,000 પૃથ્વી મુકો ત્યારે તોલમાપ સરખો બેસે.

           સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં ૨૮ ગણું છે. એટલે કે, સૂર્ય પર તમારું વજન પૃથ્વી કરતાં ૨૮ ગણું થાય.

        -સૂર્યનાં ગર્ભમાં દર સેકન્ડે ૬૨૦ મિલિયન ટન (૬,૨0,00,00,00,000 કિગ્રા) હાઈડ્રોજનનું હિલીયમમાં રૂપાંતરણ થાય છે, આ રૂપાંતરણ દરમિયાન તે વિપુલ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન કરે છે. આથી જ સૂર્યના ગર્ભનું તાપમાન ૧.૫ કરોડ સેલ્સિયસ જેટલું છે. ગર્ભથી સપાટી તરફ જતા આ તાપમાન ઘટીને ૫૭૨૭ સેલ્સિયસ જેટલું થાય છે. ( આ પણ જાણો : લોખંડ ૧૫૩૮ સેલ્સિયસ તાપમાને પીગળે છે અને ૨૮૬૨ સેલ્સિયસ તાપમાને વરાળ બને છે, હાડકું લગભગ ૧૬૭૦ સેલ્સિયસ તાપમાને પીગળે છે)

        સૂર્ય આપણી પૃથ્વીથી ૧૪,૯૬,00,000 કિમી દુર આવેલો છે તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો શૂન્યાવકાશમાં ૧ સેકન્ડમાં ૩,00,000 કિમી અંતર કાપે છે. આ હિસાબે પ્રકાશના કિરણો ને સૂર્યથી પૃથ્વી સુધી પહોંચતા માત્ર  ૮ મિનીટ ૨0 સેકન્ડ જેટલો જ સમય લાગે છે.

      ચંદ્રની સપાટી સૂર્યના કિરણોનું પરાવર્તન કરે છે તેથી જ ચંદ્ર પ્રકાશિત દેખાય છે. ચંદ્ર પરથી પરાવર્તન પામતો પ્રકાશ માત્ર ૩ થી ૧૨ % જેટલો જ હોય છે, બાકીનો બધોજ પ્રકાશ ચંદ્રની સપાટી પર શોષાઈ જાય છે.

          સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને વનસ્પતિ  પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા જ પોતાનો ખોરાક બનાવે છે, જેનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. વળી, આ ક્રિયામાં ઓક્સીજન વાયુ મુક્ત થાય છે જે આપણાં જીવન માટે અનિવાર્ય છે.

          પવન ફુંકાવો, પાણીનું બાષ્પીભવન થવું, વરસાદ પડવો વગેરે પણ સૂર્યની જ દેણ છે.આમ, ખરું જોતા તો સૂર્ય વગર જીવન શક્ય જ નથી. એટલે જ કદાચ વેદ-પુરાણોમાં સૂર્યને દેવ કહ્યો છે. હવે, આપણને પણ કોઈ પૂછે કે કોઈએ ભગવાન જોયા છે? તો કહી દેજો હા જોયા છે, દરરોજ જોવું છું.... આપણાં સૂર્યદેવ....


Sunday 13 May 2018

Rahul03


પ્લોટ્સ કે મકાન ખરીદીમાં આપ છેતરાતા તો નથી ને?




          મિત્રો, આજની ફાસ્ટ લાઈફમાં આપણને બધું જ ઝડપથી જોઈએ છે.  એમાય જો રીયલ એસ્ટેટની વાત આવે અને મોકાની દુકાન, મકાન કે પ્લોટ હોય તો તો જાણે હોડ જામે ખરીદવામાં... અને કેટલીકવાર જાણકારીનાં અભાવે છેતરાવાનો વારો આવે. પરંતુ આ વાંચ્યા પછી તો તમને છેતરવા મુશ્કેલ જ નહિ નામુમકીન છે... J J J

પ્લોટ, મકાન કે દુકાનની ખરીદીના કરાર વખતે સાવચેતીના કયા પગલાં લેશો?

રહેઠાણ ના પ્લોટ ખરીદનારે......
·        મિલકતના ટાઈટલ ક્લીયર છે કે કેમ તે તપાસવા.
·        સંબંધિત અન્ય દસ્તાવેજો તપાસવા.
·        વેચાણખત રજીસ્ટર થયેલ છે કે નહિ તે તપાસવું.
·        મિલકતનું પાવર ઓફ એટર્ની હોય તો તે રજીસ્ટર થયેલા છે કે નહિ તે તપાસવું.
·     બ્લોક લે-આઉટ પ્લાન સક્ષમ અધિકારી દ્વારા મંજુર થયેલા છે કે નહિ તે તપાસવું.
·     વકીલને નિયત ફી આપીને પ્લોટ પરના ટાઈટલ અંગેનું પ્રમાણપત્ર મેળવી લેવું. આ પ્રમાણપત્ર ઓછામાં ઓછા છેલ્લાં બાર વર્ષ માટેનું હોવું જોઈએ.
·    ગ્રાહકે ખરીદતા પહેલા માસ્ટર પ્લાન ચકાસી લેવા. આ પ્લાન નગરપાલિકા/મહાનગરપાલિકામાં ઉપલબ્ધ હોય છે.
·     માસ્ટર પ્લાનથી નીચેની વિગતો જાણવા મળે છે.

પ્લોટની જગ્યા.....
  • રહેણાંક, કોમર્શીયલ કે ઔધોગિક એમ કયા હેતુ માટે જમીન નોંધાયેલ છે?
  • ખેતીની જમીન છે કે બિનખેતીની?
  •  જમીન પ્રિમિયમપાત્ર હોય તો પ્રિમિયમ ભરાઈ ગયું છે?
  • સક્ષમ અધિકારી દ્વારા પરિવર્તિત પામી છે કે નહિ? (તે અંગેની મંજુરી તપાસવી)
  • મકાન બાંધકામ માટે ‘ના વાંધા પ્રમાણપત્ર (N.O.C) મળેલ છે?


રહેઠાણ માટેના ફ્લેટ્સ

        આજના જમાનામાં જરૂરિયાતો અને આર્થિક સ્થિતિ જોતાં મધ્યમવર્ગ માટે ફ્લેટ એ ઘરના ઘર માટે પહેલી પસંદ છે. ફ્લેટની ભારે તંગી સર્જાતા, આડેધડ હરીફાઈ આ ધંધામાં વકરી છે, પરિણામે ગ્રાહકે કેટલીક કાળજી રાખવી જરૂરી છે.


  • ખરીદનાર અને બિલ્ડર વચ્ચે નાણાંની ચુકવણી બાબતે બિલ્ડર નાણાં લીધાનું કબૂલ કરતાં નથી એટલે તકરાર ઊભી થાય છે, એટલે ગ્રાહક અનિવાર્યપણે નાણાં ચૂકવ્યાની રસીદો મેળવી લે.
  • નાણાંની ચુકવણી ચેક કે ડ્રાફ્ટથી કરવી એ જ ડહાપણ ભર્યું છે.
  • બાંધકામની ગુણવત્તાની જાણકારી મેળવવી.
  • વચન આપ્યા પ્રમાણે લાકડાંનાં કે એલ્યુમિનિયમનાં બારી-બારણાં છે કે નહી તે તપાસવું.
  • પાઈપલાઈન પી.વી.સી. કે સિમેન્ટની છે તે જોવું.
  • ફર્શની ગુણવત્તા અને ટકાઉપણું તપાસવું.
  • વેચાણખતમાં પાર્કિંગની જગ્યાનું લખાણ છે કે કેમ? તમારા ભાગે કેટલું પાર્કિંગ આવે છે તે પહેલેથી જાણી લો.
  • મંજુર થયેલા પ્લાન પ્રમાણે બાંધકામ થયું છે કે કેમ તે ચકાસવું.
  • મકાનનો કાર્પેટ એરિયા અને સુપર સ્ટ્રકચરલ એરિયા વચ્ચેનો તફાવત તપાસવો અને કેટલા ટકા ઓછા છે તે જાણવું.
  •  કિંમત પ્રમાણે ગુણવત્તા છે કે નહી તેની ચકાસણી કરવી.
  • પાઈપનું જોડાણ અને ગટરલાઈનનું જોડાણ કરવાની જવાબદારી બિલ્ડરની હોય છે તે માટે અરજી અને મંજુરીની પ્રક્રિયા પૂરી થઇ ગઈ છે કે કેમ તેની ખાતરી કરી લેવી.
  • લીગલ સર્વિસ ચાર્જ, વીજળી કનેક્શન ચાર્જ તથા મેઇન્તેનન્સ ડીપોઝીટ કેટલી છે અને તે ચોક્કસ બરાબર છે કે કેમ? તે અંગે તમામ વિગતો પ્રાપ્ત કરવી.
  • બિલ્ડરને અગાશીમાં, પેન્ટહાઉસ કે ભોંયરામાં વધારાનું કામ કરવા માટે મંજુરી આપી શકાય નહિ. બિલ્ડર્સ વેચાણખતમાં એવું લખાણ ઉમેરવાનો પ્રયત્ન કરતાં હોય છે, પણ આવી છૂટ આપી શકાય  નહી.
  • બિલ્ડર દ્વારા ગ્રાહકને મકાન વપરાશ અંગેની મંજુરી( પઝેશન) મેળવેલી હોવી જરૂરી છે, તે મેળવવી.


કેટલીક સાવધાની...


  • બિલ્ડર્સ ભપકાદાર માહિતી પત્રિકા બહાર પાડે છે તેમાંના કેટલાક વચનો પાળવામાં બિલ્ડર્સ અશક્તિમાન હોય છે.
  • બાંધકામ માટે વપરાયેલો સામાન હલકી ગુણવત્તાવાળો ન હોવો જોઈએ.
  • કેટલાક કિસ્સામાં કોન્ટ્રાક્ટ પ્રમાણે નાણાં વસૂલ કાર્ય પછી બિલ્ડર વેચાણ દસ્તાવેજ કરી  આપવાનુંટાળતા હોય છે, તો આવી ચાલાકી સામે સાવધ રહેવું.
  • કોન્ટ્રાક્ટ અમલમાં મુકાયા પછી અને વેચાણનાં અમુક નાણાં વસુલ્યા પછી બિલ્ડર્સ ભાવવધારાનું બહાનું કાઢી વધુ પૈસાની માંગણી શરૂ કરે છે. એટલે વેચાણ કરારમાં અગાઉથી પૂરતી કાળજી રાખવી, સ્પષ્ટતા કરી લેવી.
  • કોન્ટ્રાક્ટરે રજુ કરેલાં દસ્તાવેજો પર વિશ્વાસ કર્યા સિવાય લે-આઉટની મંજુરીની ખાતરી કરી લેવી જોઈએ. લે-આઉટની મંજુરીની ખાતરી મ્યુનિ.કોર્પોરેશન, શહેરી વિકાસ સત્તા મંડળ, નગરપાલિકામાં કે ગ્રામપંચાયતના અધિકારીઓ પાસેથી મેળવી શકાય છે.

કરારનામું

  • જમીનનો કોઈ માલિક હોય તો ખરીદનારે બિલ્ડર અને જમીનમાલિક સાથે ત્રણ ભાગમા કરારનામું કરવું જોઈએ.
  • જો જમીન માલિકે બિલ્ડરને જનરલ પાવર ઓફ એટર્ની આપ્યા હોય તો તેને આધારે ગ્રાહક બિલ્ડર સાથે કરારનામું કરી શકે છે. આ કરારનામા મુજબ જમીનમાલિક અને બિલ્ડર વચ્ચેની તકરારમાં બિલ્ડર ગ્રાહકના અધિકારોમાં કોઈ જ ફેરફાર કરી શકે નહી.
  • કેટલીક વખત બિલ્ડર કરારપત્રમાં જમીનમાલિકને લખાણ કરી આપી વચન પાળતા નથી. તેમજ કામ પણ પૂરું કરતા નથી અને તે જગ્યા બીજા ગ્રાહકને આપવાની તજવીજ કરે છે. આ તકરાર પણ બિલ્ડર અને જમીનમાલિક વચ્ચેની ગણાય. ગ્રાહકને આ સાથે કઈ લેવાદેવા નથી.
  • મકાનની ચારેતરફ કંપાઉંડ, મકાનની અગાશી તેમજ ભોંયરા, ઓપન સ્પેસ, કોમન પ્લોટ વગેરે  ગ્રાહકની સગવડ બની રહે છે તેથી બિલ્ડર તેને વેચી શકે નહી કે વધારાનું બાંધકામ કરી શકે નહીં. કોમ્પ્લેક્ષના વેચાણ પછી તેના પર તેનો કોઈ અધિકાર રહેતો નથી.


    

ગ્રાહક તરીકે જુનું મકાન ખરીદતા પહેલા લેવાની તકેદારી...


  • જો શહેરી વિભાગમાં (મ્યુ.કોર્પો.વિભાગમાં) હોય ત્યારે રેવન્યુ ખાતામાં એટલે સીટી સર્વે ઓફીસમાંથી છેલ્લા ૩૦ વર્ષની ૭-૧૨ ના ઉતારાની નકલો મેળવીને સદર મકાનની માલિકી હક્કની ચકાસણી કરવી.
  • જો શહેરી વિસ્તારમાં જ હોય તો મ્યુ.કોર્પોરેશન ખાતે સદર મિલકતનો કોઈ વેરો, સોસાયટીનુંમેઇન્ટેનન્સ, વીજળી બીલ કે અન્ય કોઈ સ્થાનિક વેરા બાકી તો નથી ને તેની ચકાસણી કરવી.
  • જો શહેરી વિસ્તારમાં જ હોય તો, જે તે વિસ્તારમાં વીજળી પુરવઠો પૂરો પાડતી વીજળી કંપનીને મકાન માલિક સાથે બાનાખત કરવામાં આવે ત્યારે જ એક અરજી (બાનાખાતની નકલ જોડવી) આપીને વીજમીટરમાં કોઈ ચેડાં કરવામાં નથી આવ્યાને? તેની ચકાસણી કરવી.
  • સીટી સર્વે કચેરીમાંથી મિલકત કાર્ડની નકલ મેળવી વેચાણ લેતા પહેલાં એટલેકે બાનાખત કર્યા પછી તરત જ ચકાસણી કરવી.
  • જયારે ગ્રામ્ય વિસ્તારમાં મકાન ખરીદવાના હોય ત્યારે ગ્રામ પંચાયત / તાલુકા પંચાયત કચેરી ખાતેથી ગામ નમુનાની સર્ટીફાઈડ નકલ મેળવી ચકાસણી કરવી.
  • શક્ય હોય તો ૩૦ વર્ષનું ટાઈટલ ક્લીયરન્સ પ્રમાણપત્ર મેળવવું જેથી સદર મકાન કોઈ નાણાં સંસ્થા કે અન્ય સરકારી વિભાગનો બોજો છે કે નહીં અથવા મકાન ક્યાંય ગીરો છે કે કેમ? તે અંગેની ચકાસણી કરાવવી યોગ્ય રહેશે.

       ઉપર મુજબની વિગતે જૂની મિલકત ખરીદનાર ગ્રાહક, ભવિષ્યમાં સદરહું મિલકતના દાવેદારો દ્વારા કરવામાં આવતી કાનુની કાર્યવાહીથી બચી શકે, નાણાંનો વ્યય થતો બચાવી શકે અને તેને જ સમજદાર અને જાગૃત ગ્રાહક કહેવાય.

Source of information

નિયંત્રક કાનુનીમાપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતો
તોલમાપ ભવન, સારંગપુર અમદાવાદ -૩૮૦૦૦૨

Friday 11 May 2018

Rahul02

'પ' પ્લાસ્ટિક નો 'પ' 


                 મને ખાતરી છે કે આપણામાંથી ઘણાં લોકો આ બાબતે અજાણ હશે...... અને હા થોડીક મીનીટોમાં જાણશે પણ ખરા...!!!

Image result for symbol of recycled plastic